અંજાર તાલુકાના મેઘપર બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી ગ્રામ પંચાયતના રૂ.૧૮.૫૫ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, અંજાર તાલુકામાં ૧૯ નવા પંચાયત ઘરોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે બનાવવાની મંજૂરી આપી હતી અને તેમાંથી ૧૫ નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી લોકકલ્યાણકારી નીતિ અનુસાર મંત્રીશ્રી વાસણભાઇ આહિરે મેઘપર બોરીચી ગામમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ પૈકી તાલુકા સ્તરની હોસ્પિટલનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં કોરોના કાળમાં રસી ન આવે ત્યાં સુધી સાવધાની અને સાવચેતી રાખવા મંત્રીશ્રી વાસણભાઇ એ ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અંજાર તાલુકા સંગઠનના અગ્રણીશ્રી શંભુભાઇ આહિરે કચ્છના વિકાસ માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરને જન સહયોગ આપી પ્રાથમિક અને અગત્યની સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું. ઉપરાંત અંજાર વિધાનસભાના વિકાસમાં મંત્રીશ્રીની તત્પરતા અંગે પણ સૌને તેમણે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયતની જમીનના દાતાશ્રી હરીભાઇ સોની અને વિરમભાઇ બોરીચાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન કોરોના વાયરસ (કોવડ-૧૯) મહામારી સમયે રાષ્ટ્રીય સેવામાં અમુલ્ય યોગ્દાન આપવા બદલ મેઘપર બોરીચી ગ્રામ પંચાયત દ્વારા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે કોરોના યોદ્ધાઓને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. આ તકે મેઘપર બોરીચી ગ્રામજનો સાથે અંજાર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, તાલુકા પંચાયત કારોબારી માજી ચેરમેનશ્રી બાબુભાઇ મરંડ, અગ્રણી મશરૂભાઇ રબારી, મેઘપર સરપંચશ્રી ભોજુભાઇ બોરિચા, વેલાભાઇ જરુ, ગોપાલભાઇ માતા, કાનજીભાઇ માતા, ટીડીઓશ્રી વ્યાસ સહિત ગામના અગ્રણીશ્રીઓ કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેન્દ્રસિંહ સરવૈયા અને આભારવિધિ રાજભા દ્વારા કરવામાં આવી હતી.